વૈષ્ણવજન તો તેને રે કહીએ…..
…..જે પીડ પરાઈ જાને રે.
– મહેશ પઢારિયા
ગુજરાતીના આદિ ભક્તકવિ નરસિંહ મહેતાનું, દુનિયાની લગભગ મોટા ભાગની ભાષાઓના કલાકારોના કંઠે ગવાયેલું, મહાત્મા ગાંધીને અત્યંત પ્રિય એવા ભજન ‘વૈષ્ણવજન’માં વૈષ્ણવજનના લક્ષણો વ્યક્ત થયા છે.
ક્યારેક પ્રશ્ન થાય કે બાપુને આ ભજન આટલું બધું પ્રિય કેમ થયું હશે ? જવાબ શોધતા આ પદની જે ખૂબીઓ દેખાઈ આવે એમાં પહેલી તો એ છે કે આ પદની ભાષા અહિંસક છે. ભાષા પણ હિંસક કે અહિંસક હોઈ શકે.
અખો, ભોજાભગત વગેરેએ ધાર્મિકદંભને આડે હાથ લઈને ચાબખા માર્યા છે. જ્યારે અન્ય કેટલાક વિચારકો, કવિઓએ કે ભક્તોએ માણસને ઈશ્વરાભિમુખ કરવા પોતાની રચનાઓમાં સ્વર્ગની લાલચ કે નર્કનો ડર બતાવ્યો. જ્યારે પ્રસ્તુત પદ ‘વૈષ્ણવજન’ માં નરસૈયાએ વૈષ્ણવજન કોને કહેવાય? તેની લાક્ષણિકતાઓ બતાવીને આપણી સામે માત્ર અરીસો ધરવાનું કામ કર્યું છે.
વ્યક્તિને આવી સ્વતંત્રતા આપનાર પદમાં લોકતંત્રનું અભિવાદન અનુભવાય છે. ક્યાંય હિંસક લાગતો શબ્દપ્રયોગ જ ન હોય અને ઉચ્ચ કક્ષાનું વૈષ્ણવત્વ કોને કહેવાય એ સુપેરે જણાવતું પદ, લોકતંત્ર અને અહિંસાના આરાધક એવા બાપુનો પ્રેમ પામે એમાં નવાઈ શું?
બીજી એક ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે, નરસિંહ મહેતાએ પોતાને પ્રાપ્ત થયેલી પરંપરા મુજબ ભગવાનના ભક્ત માટે ‘વૈષ્ણવજન’ શબ્દ પ્રયોજ્યો છે. પણ વૈષ્ણવજનનાં લક્ષણોની જે વાત મહેતાજી કરે છે, એ મારા નમ્ર મત મુજબ કોઈપણ ધર્મ – સંપ્રદાયના અદના આદમી, સાધકને લાગુ પડે એમ છે.
ટૂંકમાં આ પદ સર્વધર્મસમભાવ વ્યક્ત કરતું પદ પણ છે. એટલે હવે બાપુને આ પદ અત્યંત પ્રિય કેમ બની ગયું એનું રહસ્ય થોડું ઘણું સમજી શકાય એમ છે.
આ પદમાં વર્ણવેલ વૈષ્ણવજનનાં લક્ષણો પૈકી પ્રથમ લક્ષણ છે જે પીડ પરાઈ જાણે રે…. પારકી પીડા જ્યારે પોતાના હૃદયમાં માળો બાંધે, ત્યારે માણસ પરકાયા પ્રવેશની સિદ્ધિ હસ્તગત કરતો હોય છે.
મહાત્મા ગાંધીએ પોતાના રાજકીય ગુરુ ગોખલેજીની સલાહથી જાહેરમાં મૌન પાળીને એક વર્ષ સુધી ભારત ભ્રમણ કરીને ખરા અર્થમાં ભારતને પામવાનો પ્રયાસ કર્યો. આ એક વર્ષ દરમ્યાન એમણે ભારતની ગરીબીના દર્શન કર્યા અને જિંદગીભર ત્રીજું વસ્ત્ર ધારણ નહીં કરવાની ભીષ્મપ્રતિજ્ઞા કરી.
કપિલવસ્તુનગરના યુવરાજ સિદ્ધાર્થને કયુ દુઃખ હતું? એમણે કરેલી છન્ન સાથેની નગરયાત્રા દરમિયાન જોયેલા માંદગી, વૃદ્ધત્વ અને મૃત્યુના દ્રશ્યોથી સંસારની આધિ-વ્યાધિ માત્ર જોઈ નહીં પણ અનુભવી.
આ ‘જોવું’ અને ‘અનુભવવુ’ માં જમીન-આસમાનનો તફાવત છે. જે અનુભવે એ પીડા પામે પણ ખરો અને પોતાના સહિત અન્યોને આ પીડામાંથી મુક્ત કરવાનો પ્રયાસ પણ કરે.
દયાવિહીન નર પશુની પંક્તિમાં જઈને બેસે એવું બને. પ્રાચીન સમયમાં આપણે ત્યાં આવા દયાવિહીન માણસ માટે અસૂર શબ્દ પ્રયોજાતો.
આધ્યાત્મિકતાનું પાયાનું ટોનિક આ પર પીડાનાં દર્શન થકી જન્મતી કરુણા છે. આવા કરુણાવાન મહામાનવો, યુગપુરુષોના અવતારકૃત્યથી આ વિષભર્યો સંસાર જીવવા જેવો શીતળ બની રહ્યો છે.
પારકાની પીડા અનુભવી અને જગતને સો ટચની કરુણતાથી ભીંજવીને સુખી કરવા મથેલા, મથતા વૈષ્ણવજનોને સાદર વંદન સાથે અટકું….