એકાંત અને એકલતા
-શ્રી ભાણદેવજી
હિમાલયની યાત્રાએ અનેકવાર જવાનું બને છે. હિમાલયનાં દૂરદૂરનાં સ્થાનો, ગહન એકાંત સ્થાનોમાં જવાનું પણ બને છે અને સૌથી વિશેષ તો હિમાલયની ગુફાઓમાં જવાનું પણ બને છે. હિમાલયમાં કેટલી ગુફાઓ છે ? એક હજાર ? ના, તેથી વધારે ! બે હજાર? ના, તેથી પણ વધારે ! હા, હિમાલયમાં હજારો ગુફાઓ છે! અને આ ગુફાઓ ખાલી નથી. આ ગુફાઓમાં સંતો-સિદ્ધો વસે છે. અમારે પણ આ ગુફાઓમાં તેમની સાથે રહેવાનું બને છે.
ભોજનની વ્યવસ્થા કેવી રીતે થાય છે ? આજુબાજુના પહાડોના ગામડામાં રહેતા હિમાલયવાસીઓ મહિનામાં એકાદવાર આવીને મગ, ચોખા, ઘઉંના ફાડા આદિ આપી જાય છે. અહીંના અરણ્યમાં જંગલી સુરણ, જંગલી કેળાં, જંગલી દાડમ થાય છે.
કેટલીક ગુફાઓ ખૂબ મોટી હોય છે. તો પણ એક ગુફામાં બે સાધુઓ સાથે રહેતા હોય તેમ અમે કદી જોયું નથી. બે ગુફાઓ નજીક નજીક હોય અને બન્નેમાં એક એક સાધુ રહેતા હોય છે. તેઓ વર્ષો સુધી અન્યોન્યને મળતા નથી.
અમે તેમને વિચત પૂછીએ છીએ, “અન્યોન્ય મળવાનું કેમ બંધ છે?” તેમનો ઉત્તર ત્વરિત અને સ્પષ્ટ હોય છે, “અમે અહીં ડાયરા ભરવા માટે અને ચોવટ કરવા માટે નથી આવ્યા.” આ શું છે? આ એકાંત છે! આ એકાંતવાસ છે!
હિમાલયમાં એક વાર એક એકાંતવાસી, ગુફાનિવાસી સાધુ સાથે થોડો સત્સંગ થયો અને માંડમાંડ તેમના વિશે થોડું જાણી શકાયું. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લઈ ચૂક્યા છે. અનેકવાર જેલવાસ ભોગવ્યો છે.
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું. તે સમયે તેઓ પણ લાલકિલ્લાના મેદાનમાં હાજર હતા. સવારે મનમાં સંકલ્પ થયો, “આ સમાજ પ્રત્યેનું મારું કર્તવ્ય પૂરું થયું, હવે મારી અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે.” આવા સંકલ્પ સાથે તેઓ દિલ્હીથી પગપાળા જ નીકળી પડ્યા અને હિમાલયની આ ગુફામાં પચાસ વર્ષથી રહે છે.
પચાસ વર્ષમાં એક પણ વાર અન્યત્ર ગયા નથી, જવાની ઈચ્છા પણ થઈ નથી!! આ એકાંત છે! આ એક અધ્યાત્મપુરુષનો એકાંતવાસ છે!
એકનિષ્ઠ અને ગહન અધ્યાત્મસાધન માટે સાધક એકાંતવાસ સ્વીકારે છે અને આ એકાંતવાસને પચાવી શકે છે. અમે તેમને પૂછીએ છીએ, “તમારો સમય કેવી રીતે પસાર થાય છે?” ઉત્તર સ્પષ્ટ અને સચોટ હોય છે. “ચોવીશ કલાક ઓછા પડે છે!”
“આપ શું કરો છો ? આપ આ દીર્ઘકાલીન એકાંતવાસ અને આ ધનિષ્ઠ સાધના દ્વારા શું પામ્યા?” અહીં પણ ઉત્તર સ્પષ્ટ અને સચોટ છે, “અધ્યાત્મસાધન અને આધ્યાત્મિક અનુભૂતિઓ વિશે મૌન રહેવું-આ અધ્યાત્મપથની શિસ્ત છે.”
એકલતા શું છે? એકલા રહેવું ફાવતું નથી. એકલા રહેવું ગમતું નથી. એકલતા અકારી લાગે છે, પરંતુ કોઈનો સાથ સંગાથ નથી એટલે ન છૂટકે એકલા રહેવું પડે છે. આ એકલતા છે અને આ એકલતા પીડાદાયક છે.
એકાંત અને એકલતાની તુલના જોઈએ. એકાંત સ્વેચ્છાએ સ્વીકારવામાં આવે છે. એકલતા અનિચ્છાએ આવી પડેલ છે. એકાંત આનંદપૂર્ણ અને શાંતિપૂર્ણ છે જ્યારે એકલતા પીડાદાયક છે.
એકાંત તો પ્રભુની કૃપા છે. એકલતા તો સજા છે. તમે શું ઇચ્છો છો? એકાંત કે એકલતા? એકલતા આવી પડી હોય તો તેનું એકાંતમાં રૂપાંતર થઈ શકે નહીં? હા, થઈ શકે! મહાત્મા ગાંધીજીએ જેલની એકલતાનું એકાંતમાં રૂપાંતર સિદ્ધ કર્યું હતું.