અભ્યાસ અને સંતસેવા
ભગવાન શ્રીસ્વામિનારાયણ સંસ્કૃતિના પોષક હતા. મૂળના પોષણ વિના વૃક્ષ લીલું રહે નહીં, એવા જ કોઈ હેતુથી શ્રીજી મહારાજે વિશાળ મંદિરો બાંધ્યાં, શાસ્ત્રોનો પ્રચાર-પ્રસાર કર્યો, સંતોને વિદ્યાભ્યાસ કરાવ્યો, ગ્રંથોની રચનાઓ કરાવી. સાથેસાથે સંગીત, ચિત્ર, શિલ્પ વગેરે કળાઓમાં પણ સંતો નિપૂણ થાય એ માટેની તમામ વ્યવસ્થાઓ કરાવી અને સ્વયં પોતે સંતોનું ઘડતર કર્યું.
શ્રીજી મહારાજ સારી રીતે જાણતા હતા કે, વિદ્વાન દ્વારા જ ધર્મ કે સંપ્રદાયનું પોષણ થઈ શકે. જ્યાં સુધી ધર્મગુરુ શાસ્ત્રજ્ઞાતા ન હોય, શાસ્ત્રનાં રહસ્યને પામ્યો ન હોય, સત્-અસત્ત્ના વિવેકને પૂર્ણ રીતે જાણતો ન હોય, ત્યાં સુધી એ આમજનતાને કેમ સમજાવી શકે ? એટલે જ ભગવાન શ્રીસ્વામિનારાયણ પોતાના ત્યાગી શિષ્યસમુદાયને શાસ્ત્ર ભણાવવાનો ખૂબ આગ્રહ રાખતા હતા.
એ માટે શ્રીજી મહારાજે અમદાવાદ, સુરત, જેતલપુર વગેરે થોડી સગવડતાવાળા શહેરોમાં સંતોને રોક્યા હતા અને વિદ્યાભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી. કેટલાક સંતો તીવ્ર બુદ્ધિશાળી હતા. એમને વિશેષ અભ્યાસ માટે પ્રસિદ્ધ વિદ્વાનો પાસે ભણવા મોકલ્યા હતા.
કેટલાક સંતો સંગીતમાં તૈયાર થાય એવા હતા, એમને સંગીતની તાલીમ અપાવતા અને પૂરતી હૂંફ આપી એમનો ઉત્સાહ વધારતા. ઉપરાંત કેટલાક સાધુઓને લેખનમાં, કેટલાકને ચિત્રકલામાં, કેટલાકને શિલ્પકળામાં તૈયાર કર્યા હતા.
‘મારો આશ્રિત સાધુ સાધુતામાં પણ ઊણો ન રહે અને વિદ્યા-કળામાં પણ કોઈથી ઊતરતો ન રહે’ એવું શ્રીજી મહારાજનું તાન હતું. સંતોએ ઓછી સગવડો વચ્ચે પણ ખૂબ સારો અભ્યાસ કર્યો હતો અને પોતપોતાનાં ક્ષેત્રમાં નિપૂણતા પ્રાપ્ત કરી હતી.
અદ્ભુતાનંદ સ્વામી સાધુ સ્વાભાવના હતા. એમને અભ્યાસની સાથે સાથે સેવાનું પણ ખૂબ તાન રહેતું. સેવા કરવાના અવસરને તેઓ સામેથી વધાવી લેતા અને મહારાજ તથા સંતોનો રાજીપો મેળવી લેતા.
એક સમયે મહારાજની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામી નાના વીસ વિદ્યાર્થી સંતોને લઈને જેતલપુર સંસ્કૃતનો અભ્યાસ કરાવવા આવ્યા હતા. જેમાં અદ્ભુતાનંદ સ્વામી પણ સાથે હતા.
એક દિવસની વાત છે. ચૈતન્યાનંદ સ્વામી દરરોજ કાવડ માંગવા જતા, પરંતુ એમની દાઢમાં અસહ્ય દુખાવો શરૂ થયો એટલે તેઓ જઈ શકે એમ ન હતા. તેથી અદ્ભુતાનંદ સ્વામી કાવડ માંગવા જવા તૈયાર થયા.
આમ, રાજી થઈને ભાઈરામદાસજીએ અદ્ભુતાનંદ સ્વામીને આજ્ઞા આપી તેથી જેતલપુરમાં છ મહિના કાવડ માગી. એ સેવાના પ્રતાપે સંતો અને શ્રીજી મહારાજ સ્વામી ઉપર ઘણા રાજી થયા.
એક અદ્ભુતાનંદ સ્વામી સાજા હતા. દોઢસો સંતો માંદા અને એક અદ્ભુતાનંદ સ્વામી સાજા. તેથી એ બધા સંતોની સેવા એકલા અદ્ભુતાનંદ સ્વામીએ ઉપાડી લીધી.
તેમણે રાત-દિવસ સેવા કરી, પાણી લાવ્યું, સ્નાન કરાવ્યું, વસ્ત્રો ધોયાં અને સંતોને સાજા કર્યા. માંદાની સેવા કરવાથી શ્રીજી મહારાજની ખૂબ પ્રસન્નતા મળે છે.
ચરણારવિંદની ભેટ
વડોદરાના ગાયકવાડ સરકારના વિદ્વાનોએ ભગવાન શ્રીસ્વામિનારાયણના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરવાનું આમંત્રણ મોકલ્યું. મહારાજે એ આમંત્રણનો સ્વીકાર કરી મુક્તાનંદ સ્વામીને ગઢપુરથી વડોદરા મોકલ્યા.
મુક્તાનંદ સ્વામીની પ્રતિભા સામે વડોદરાના વિદ્વાનો પરાજિત થયા. સમાચાર સાંભળી શ્રીજી મહારાજ ખૂબ પ્રસન્ન થયા અને સાકર વહેંચવાનો નિર્દેશ આપ્યો.
પછી મહારાજે બસો જોડ ચરણારવિંદ અદ્ભુતાનંદ સ્વામીને આપ્યા અને વડોદરા મોકલ્યા. સ્વામીએ જઈ મહારાજનો રાજીપો પહોંચાડ્યો.
મુક્તાનંદ સ્વામીએ ખૂબ પ્રસન્ન થઈ ચાર ચરણારવિંદની જોડ અદ્ભુતાનંદ સ્વામીને ભેટ આપી અને અન્ય ભક્તોને પણ વહેંચી દીધાં.