તમો તો સંસારમાં શોભો એવા છો !
-સાધુ યજ્ઞવલ્લભદાસ
કાવ્યરચનામાં કુશળ બ્રહ્માનંદ સ્વામીના જીવનમાં કેટલીક પરીક્ષાની ઘડીઓ આવી હતી. સહજાનંદી સુખમાં રમમાણ બ્રહ્માનંદ સ્વામીની સાથે કેટલાક વિદ્વાનો ચર્ચા કરવા આવતા અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન નથી એવું કહેતા. એ સમયે પોતાની ધારદાર કાવ્યશક્તિના સહારે સ્વામી એમને રોકડો જવાબ આપતા.
મૂળીમાં મંદિરનું નિર્માણ ચાલતું હતું. બ્રહ્માનંદ સ્વામી દેખભાળ કરી રહ્યા હતા. આ અરસામાં ગામમાં રહેતા કોઈ ચારણને ત્યાં લગ્નપ્રસંગે દેશદેશાવરોના ચારણ કવિઓ આવેલા. એમને ખબર મળ્યા કે આપણી જ જ્ઞાતિના બ્રહ્માનંદ કરીને કોઈ સંત અહીં રહે છે. તેથી તેઓ સ્વામીને મળવા મંદિરમાં આવ્યા.
કચ્છ, ગુજરાત, હાલાર, ગોહિલવાડ, સોરઠ અને ઝાલાવાડ આદિક પ્રદેશોના એ ચારણ કવિઓનો સ્વામીએ સત્કાર કર્યો. થોડી વાતચીત થઈ. પછી પોતાની કાવ્યશક્તિના અભિમાનમાં રાચતા એ કવિઓએ બ્રહ્માનંદ સ્વામીને એકસાથે છ પ્રશ્નો પૂછયા : (૧) સાગરની પુત્રીનું નામ શું? (૨) જીવનો વાસ ક્યાં છે? (૩) તીર્થ કરવા જાઉં કે ન જાઉં? (૪) ગોપપતિ કોણ ગોકુળ ગામી? (૫) સતી સ્ત્રીને વહાલું કોણ? અને (૬) આ કલિયુગમાં જનોને નિષ્કામી કોણ કરે છે?
પ્રશ્નો સાંભળી સ્વામી એમનો મથોરથ પામી ગયા. મંદ મંદ હસતા સ્વામીએ અંતલોપિકા સવૈયો બોલ્યા. જેમાં છેલ્લી લીટીમાં જ બધા જ પ્રશ્નોના ઉત્તર આપી દીધા.
“પ્રશ્ન સુણી મુનિ બ્રહ્મ કહે, સુણો ઉત્તર શ્રી સહજાનંદસ્વામી.”
ઉપર મુજબ છએ પ્રશ્નોના ઉત્તર માત્ર અંતલોપિકા સવૈયા છંદની એક છેલ્લી પંક્તિમાં સાંભળી સૌ કવિરાજો નતમસ્તક થઈ ગયા. સ્વામીના બુદ્ધિબળની અને શીઘ્ર કાવ્યરચનાનાં વખાણ કરવા લાગ્યા. પછી કોઈ અવળચંડો યુવાન બોલ્યો, “મહાત્મા ! આપની પાસે આટલી બધી અઢળક કવિત્વશક્તિ હોવા છતાં, શા માટે બાવા થઈ ગયા? તમો તો સંસારમાં શોભો એવા છો! જેને ખાવા ન મળે, જેનામાં કોઈ શક્તિ ન હોય તેવા લોકો ફકીરી લે તે બરાબર, પરંતુ આપ તો સર્વશક્તિસભર છો. વળી, ઈશ્વરકૃપાથી મળેલી આ બુદ્ધિશક્તિ અને સુંદર શરીરથી વિષયભોગની મજા માણવી જોઈએ ! ફરી પાછો આવો રૂડો અવસર થોડો આવવાનો છે?”
મોહના ઘોડે ચડેલા મૂર્ખ પુરુષોના વિષયમંડનાત્મક શબ્દોને અટકાવી બ્રહ્માનંદ સ્વામીએ સીધા-સાદા- સરળ છતાં સચોટ અને મર્મવેધક શબ્દોનો ઉપયોગ કરી કાવ્યરચના દ્વારા અને સુરા-સુંદરીનાં સુખમાં મોહાંધ બનેલા એ વિષયી યુવાનોને ઉદ્દેશીને સંભળાવવા લાગ્યા. જોતજોતાંમાં આઠ પદો રજૂ થયાં. કહેવાય છે કે એ ચારણી કવિઓ સ્વામીનો આ ઉપદેશ સાંભળીને વહેમ, વ્યસન અને વિષય છોડી સત્સંગી થયા. ભગવાન શ્રી સ્વામિનારાયણનું ભજન કરતા થયા અને પોતાનો જન્મ સુફળ કરી લીધો.
એ સમયે જે પદોની રચના થઈ તેમાંથી એક પદનો આસ્વાદ માણીએ:
દાયો રહેને ચોર દૈવના, શું મુખ લઈને બોલે જી,
સ્વારથ કારણ શ્વાન તણી પેર, ઘર ઘર ફરતો ડોલે જી…
આતમ સાધન કાંઈ ન કીધું, માયામાં ભરમાણો જી,
લોક કુટુંબની લાજે લાગ્યો, સઘળેથી લૂંટાણો જી…
પેટને અર્થે પાપ કરતાં પાછું ફરી ન જોયું જી,
કોડી બદલે ગાફલ કુબુદ્ધિ, રામ રતન ધન ખોચું જી…
વિષય વિકાર હૈયામાં ધાર્યા, વિસાર્યા મોરારી જી,
મૂરખ તેં આમે દશ મહિના, જનની ભારે મારી જી…
સંત પુરુષની સોબત ન ગમે, ભાંડ ભવાઈમાં રાજી જી,
બ્રહ્માનંદ કહે નરતન પામી, હાર્યો જીતી બાજી જી…
સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી સ્પષ્ટ શબ્દોમાં રાગી પુરુષોના મોહ ઉપર મજબૂત ફટકા મારતા હોય તેમ કહેવા લાગ્યા કે, “હે દેવના ચર! તું ક્યા મુખે આવી વિષયી વાતો કરે છે ? ગર્ભવાસની ભયંકર પીડામાંથી મુક્ત થવા તું જ પ્રભુની આગળ કરગરતો હતો અને કહેતો હતો કે હે પ્રભુ! જન્મ ધારણ કરીને હું તમારું ભજન કરીશ.’ ભગવાનને આવો કોલ આપી જામીન ઉપર છૂટયો હોવા છતાં ભગવાનને ભૂલી સુંદરીના સુખની પાછળ શું પડયો છે? ભગવાનને આપેલો કોલ તું પાળતો ન હોવાથી તું એમનો ચોર છે. હે મૂઢ જીવાત્મા! ક્ષણિક વિષયસુખને મેળવવા અને સ્વાર્થના પોષણ ખાતર કૂતરાની પેઠે વિષયનાં વલખાં મારતો ઘર-ઘર શાં માટે ભમી રહ્યો છે ?
તું જે માયાના સુખમાં ભરમાણો છે એ સુખ નાશવંત અને તુચ્છ છે. એવા અસાર સુખને મેળવવામાં આખી જિંદગી ખોવાઈ ગઈ, એટલું જ નહીં પરંતુ કેટલાક જન્મ પણ ખોયા, તો પણ વિષય સુખની તૃપ્તિ નથી થઈ. તેમ આત્માની શાંતિ માટે આધ્યાત્મિક સાધન એક પણ ન થઈ શક્યું. કેવળ લોક અને કુટુંબની લાજમાં લેવાઈ જઈ અવસ્થા, શક્તિ અને સમય જેવાં અમૂલ્ય રત્નો લૂંટાઈ ગયાં છતાં હજુ સમજતો નથી ? ફૂટી કોડી જેવા પંચવિષયના સુખને બદલે, હે ગાફલ ! હે કુબુદ્ધિવાળા ! ભગવાન જેવું અણમૂલું રતન તેં ખોઈ નાખ્યું.
એક મોટી કોઠીમાં સરસવના દાણા સમાય એથી અનંત ગણા અધિક વિષયસુખના સંકલ્પો હૈયામાં ભર્યા છે. તેણે કરી અહર્નિશ વિષયનું જ ચિંતવન થાય છે. એમાં ભગવાન ક્યાંથી સાંભરે? જીવાત્માનાં શ્રેય અને પ્રેયને દૃષ્ટિમાં રાખી બ્રહ્માનંદ સ્વામીની કલમ થોડી આકરી થાય છે. સ્વામી કહે છે, ‘હે મૂર્ખ! ગર્ભમાં દીધેલા કોલને તારે ભૂલી જ જવો હતો તો પછી દશ મહિના સુધી શા માટે જનનીને ભારે મારી ? તારા કરતાં કોઈ પથ્થરને જન્મ આપ્યો હોત તો મંદિરનાા ચણતર ઉપયોગ તો આવત.
હે ગાફેલ ! બેગરજુ! તને સંત-પુરુષની સોબત ગમતી નથી. ભાંડ-ભવાઈ જોવામાં જ તું રાજી થા છો. દેવોને દુર્લભ એવું આ મનુષ્યતન પામવારૂપ તું બાજી જીત્યો હતો; પરંતુ દેહ, ગેહ, છોકરાં, કુટુંબ-કબીલા અને સ્વાર્થીલા સગાં-સંબંધીનું ભરણ પોષણ કરવામાં તેમ જ સુંદરીનાં સુખની પાછળ પાગલ બની મનુષ્યતન પામવારૂપ બાજી હારી ગયો છે. માટે સુજ્ઞજનો ! તમે જેને સુખ માન છો, એ સુખ અવિનાશી નથી. તમે જેને આનંદ માનો છો એ વાસ્તવિક સ્વરૂપમાં આનંદ નથી. ખરું સુખ અને સાચો આનંદ તો પરમતત્ત્વ પરમાત્માની પાસે જ છે. તેમનું ભજન કરનારને તે અવિનાશી સુખ અને અચળ આનંદની અનુભૂતિ થાય છે, પ્રાપ્તિ થાય છે.”
સંપ્રદાયના શિરમોર કવિ બ્રહ્માનંદ સ્વામીએ ગુજરાતી, હિન્દી, ચારણી, કચ્છી, મેવાડી વગેરે ભાષામાં ગરબી, થાળ, આરતી, ભજન, બાસમાસી જેવા પ્રકારનાં અનેક પદોની રચના કરી છે. ઉપરાંત ઝૂલણા, ચોપાઈ, હરિગીત, કુંડળિયા, રેણકી જેવા છંદોમાં આવા અનેક પ્રસંગો અને રસ ભરી વાતો પ્રગટ થાય છે. સાંપ્રદાયિક ઉત્સવો, આરતી, પ્રાસંગિક પદરચનાઓનું મુખ્ય લક્ષ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે. ભક્તિ તથા વૈરાગ્યનાં પદોમાં શૌર્યસભર શૈલી, વિશિષ્ટ ખુમારી, પ્રાસની સાહજિકતા, રમણીયતા, માધુર્ય, ધ્રુવપંકિતનું લયવૈવિધ્ય હોવાને લીધે પદો લોકભોગ્ય બન્યાં છે અને પઠન કરનારને ભાવપ્રવાહમાં ગરકાવ કરી દે છે.