Hari Prakash Swami

ભગવાન કૃપાસાધ્ય કે સાધનસાધ્ય?

ભગવાન કૃપાસાધ્ય કે સાધનસાધ્ય? – સ્વામી માધવપ્રિયદાસ

ભગવાન કૃપાસાધ્ય કે સાધનસાધ્ય?

-સ્વામી માધવપ્રિયદાસ

એક સાધન-વિવેક સમજવાની જરૂર છે. કોઈ એમ માને કે ‘હું ધર્મ-જ્ઞાનાદિ સાધનોથી પરમાત્માને પ્રાપ્ત કરી લઉં’, તો એ શક્ય નથી. ભગવાન કૃપાસાધ્ય છે, સાધનસાધ્ય નથી. સાધનો ચિત્તશુદ્ધિ અને પરમાત્માની પ્રસન્નતા માટે છે. સાધનોથી પ્રસન્ન થયેલા પરમાત્મા જીવનું કલ્યાણ કરે છે માટે સાધકે ભગવાનની કૃપાનું બળ રાખવું, સાધનોનું નહીં.

આ અંગે વચનામૃત ગ.મ. ૬૬માં ભગવાન શ્રીસ્વામિનારાયણે કરેલી વાતનો સાર નીચે પ્રમાણે છે. એક વાર ભગવાન શ્રીસ્વામિનારાયણ ગઢપુરમાં સભા ભરીને વિરાજમાન હતા. સભામાં બેઠેલા મહાવિદ્વાન નિત્યાનંદ સ્વામીને ભગવાન શ્રીસ્વામિનારાયણે પ્રશ્ન પૂછ્યો કે, “ભગવાનને પામ્યાનું એક જ સાધન છે કે ઘણાંક સાધને કરીને ભગવાન પમાય છે? જો તમે એમ કહેશો કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ધર્મ એ ચાર સાધનથી ભગવાન પમાય છે; એમ કહીએ તો એક ભગવાનના આશ્રયે કરીને જ કલ્યાણ થાય છે, એવા અનન્યભાવનો નિર્ધાર રહેતો નથી અને જો એક આશ્રયે કરીને જ કલ્યાણ થાય છે એમ કહીએ તો અન્ય સાધનોની આવશ્યકતા રહેતી નથી. તો શું સમજવું?” નિત્યાનંદ સ્વામીથી પ્રશ્નનું સમાધાન થયું નહીં, ત્યારે ભગવાન શ્રીસ્વામિનારાયણ બોલ્યા, “કલ્યાણ તો એક ભગવાન વતે જ છે, પરંતુ એ સર્વે સાધન ભગવાનની પ્રસન્નતાને અર્થે છે.”

।। સેવામુક્તિશ્ચ ગમ્યતામ્ ।।

મનુષ્યજીવન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ માટે છે. મનુષ્યજીવનનું શ્રેષ્ઠ અને અંતિમ લક્ષ્ય મોક્ષ છે. મોક્ષનું બીજું નામ આત્યંતિક કલ્યાણ છે. કલ્યાણ અનેક પ્રકારનાં છે. આ લોકમાં અનેક પ્રકારે સુખે રહેવાય એનું નામ પણ કલ્યાણ છે. દેવલોકનાં સુખ મળે એ પણ કલ્યાણ કહેવાય. બ્રહ્મલોકનાં સુખ મળે એ પણ કલ્યાણ કહેવાય પરંતુ આ બધાં કલ્યાણ સ્થાયી નથી. આ બધાં કલ્યાણથી જન્મ-મરણના ફેરા ટળતા નથી. લખચોરાશી ટળતી નથી. એક કલ્યાણ એવું છે કે જે શાશ્વત આનંદરૂપ છે, જ્યાં ગયા પછી સંસારનું પુરાવર્તન રહેતું નથી.

ભગવાન શ્રીકૃષ્ણ ગીતાજીમાં કહે છે કે, यद्गत्वा न निवर्तन्ते तद्धामपरमं मम। (गीता १५-६) વિવિધ ધર્મોમાં મોક્ષપદાર્થ અંગે ખૂબ જ મંથન કરવામાં આવ્યું છે. કોઈ મરણને મોક્ષ કહે છે. કોઈ સ્વર્ગપ્રાપ્તિને મોક્ષ કહે છે. કોઈ દુઃખનિવૃત્તિને મોક્ષ કહે છે. કોઈ નિર્વાણને મોક્ષ કહે છે. કોઈ માયાનિવૃત્તિને મોક્ષ કહે છે. કોઈ બ્રહ્મભાવની પ્રાપ્તિને મોક્ષ કહે છે. શાસ્ત્રમાં સ્વઃ શબ્દ આવે છે. માત્ર બ્રહ્મરૂપ થવું એ જ સ્વસ્વરુપાર્વિભાવ નથી.

આત્માનો સેવકભાવ નિત્યસિદ્ધ છે, મુક્તિદશામાં પણ તે રહે છે. માટે બ્રહ્મરૂપ થઈ સેવકભાવે પરબ્રહ્મ સાથે જોડાવું એજ સાચો સ્વસ્વરુપાર્વિભાવ છે. શ્રુતિ કહે છે : પાંખ્યોતિપમ્પઃ સ્વઃ रूपेणऽभिनिષ્પદ્યતે । (છા.ઉ.-૮-૧૨-૨) ‘શરીરમાંથી મુક્ત થયેલો આત્મા પરંજ્યોતિ સ્વરૂપ પરમાત્મા સાથે સેવકભાવે જોડાય છે અને બ્રહ્મભાવમાં રમણ કરે છે.’ બ્રહ્મસૂત્રના ચોથા અધ્યાયમાં મુક્તિપાદમાં ભગવદ્દપાદ્ રામાનુજાચાર્યજીએ આ વાત સારી રીતે સમજાવી છે.

મોટા ભાગના વૈષ્ણવાચાર્યોના મતે માત્ર બ્રહ્મરૂપ થવું એ જ મુક્તિ નથી, બ્રહ્મભાવ તો પરબ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે. જેમ ખાણમાંથી મૂલ્યવાન હીરો મળે અને એ હીરાના પેલ પડે ત્યારે એ હીરો ઝળહળી ઊઠે છે, હીરાનું આ રૂપ અત્યંત રમણીય છે; પણ એ જ હીરો કોઈ અલંકારમાં જડાય છે ત્યારે એની શોભા અનેકગણી વધી જાય છે, એ જ રીતે બ્રહ્મરૂપ થવું એ ઘણી સારી વાત છે, પરંતુ બ્રહ્મરૂપ થયા પછી પરબ્રહ્મનાં ચરણોની સેવામાં જોડાવું એ અતિ મહત્ત્વની વાત છે. શુકદેવજી મહારાજ બ્રહ્મરૂપ થયા હતા અને પછી હઠાત્ પરબ્રહ્મના ગુણગાન ગાવામાં તલ્લીન થઈ ગયા હતા, ત્યારે એનો બ્રહ્મભાવ વિશેષ દીપી ઊઠયો હતો. સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં કહ્યું છે, ‘બ્રહ્મરૂપ થાવું અને પરબ્રહ્મ ભજવા.’

ભગવાન શ્રીસ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કહે છે કે, ‘तत्र ब्रह्मात्मना कृष्ण सेवाમુક્તિશ્ચ ગમ્યતામ્ ।’ ‘ભગવાનના દિવ્ય ધામમાં બ્રહ્મભાવે પરબ્રહ્મની સેવા કરવી એને મુક્તિ જાણવી.’ શાસ્ત્રોમાં ચાર પ્રકારની મુક્તિ પ્રસિદ્ધ છે. ભગવાનના લોકમાં રહેવું, ભગવાનના જેવું ઐશ્વર્ય પામવું, ભગવાનની સમીપમાં રહેવું, ભગવાનનાં જેવું રૂપ પામવું.’ ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, “આ ચાર પ્રકારની મુક્તિ છે એને ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે.”

શ્રીમદ્ ભાગવતજીમાં ભગવાન કપિલ નારાયણ માતા દેવહૂતિને કહે છે, सालोक्यसाष्टिसામીપ્યસારૂપ્યૈકત્વમપ્યુત । દીયમાનં ન ગૃહ્ણન્તિ વિના મત્સેવનં જનાઃ ।। “ચાર પ્રકારની મુક્તિમાં જો મારી સેવા ન હોય તો મારો નિષ્કામ ભક્ત ચાર પ્રકારની મુક્તિને પણ ઇચ્છતો નથી. અરે! હું રાજી થઈને આપું તો પણ સ્વીકારતો નથી. નિષ્કામ ભક્ત તો એક મારી સેવાને જ ઈચ્છે છે.” ભગવાન શ્રીસ્વામિનારાયણ કહે છે, “આવા નિષ્કામ ભક્તને ભગવાન પોતાની સેવામાં અખંડ રાખે છે.”

ભગવાન શ્રીસ્વામિનારાયણે કરુણા કરીને પોતાના ભક્તને અંત સમયે અક્ષરધામમાં તેડી જવાનો કોલ આપ્યો છે. ભક્તચિંતામણિમાં કહ્યું છે કે, ‘મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે, તે સર્વ જનને જણાવવું.’ (ભ.ચિ.પ્ર.-૬૮-૩) ભગવાન શ્રીસ્વામિનારાયણે આજપર્યત પોતાનું આ વચન પાળ્યું છે, તેઓ આજે પણ પોતાના ભક્તને અંત સમયે દર્શન આપીને ધામમાં તેડી જાય છે. સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિના આ કરુણામય સ્વભાવને વંદન કરતાં આરતીમાં ગાયું છે કે, ‘આ અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સીધી….’

ભગવાન શ્રીસ્વામિનારાયણ વચનામૃતમાં મુક્તિનો સરળ માર્ગ બતાવતા કહે છે કે, “ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનનાં ચરિત્ર ગાવવાં-સાંભળવાં ને ભગવાનનું નામસ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી, એ તો જેમ વહાણમાં બેસીને સમુદ્ર તરવો એવો સુગમ માર્ગ છે અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે.” (વચ.ગ.મ.૩૫)

“જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું તેને તે તે લક્ષણે કરી તે ભગવાનને ઓળખીને તે ભગવાને શરણે થવું અને તેનો દૃઢ વિશ્વાસ રાખવો ને તેની આજ્ઞામાં રહીને ભક્તિ કરવી, એ જ કલ્યાણનો ઉપાય છે.” (વચ.વ.૧૦) “અને ભગવાન જયારે પૃથ્વીને વિશે પ્રત્યક્ષ ન હોય ત્યારે તે ભગવાનને મળેલા જે સાધુ તેનો આશ્રય કરવો તો તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.’ “અને જયારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનની પ્રતિમાને વિશે દૃઢ પ્રતીતિ રાખવી ને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવી, તે થકી પણ જીવનું કલ્યાણ થાય છે.”

એકાંત અને એકલતા

એકાંત અને એકલતા -શ્રી ભાણદેવજી હિમાલયની યાત્રાએ અનેકવાર જવાનું બને છે. હિમાલયનાં દૂરદૂરનાં સ્થાનો, ગહન એકાંત સ્થાનોમાં જવાનું પણ બને છે અને સૌથી વિશેષ તો હિમાલયની ગુફાઓમાં જવાનું પણ બને છે. હિમાલયમાં કેટલી ગુફાઓ છે ? એક હજાર ? ના, તેથી વધારે ! બે હજાર? ના, તેથી પણ વધારે !

Read More »

અદ્ભુત સંત અદ્ભુતાનંદ સ્વામી!

અદ્ભુત સંત અદ્ભુતાનંદ – લેખ સંગ્રહ અદ્ભુત સંત અદ્ભુતાનંદ ! -સાધુ યજ્ઞવલ્લભદાસ વિક્રમ સંવત્ ૧૮૬૪ની સાલમાં ભગવાન શ્રીસ્વામિનારાયણ કચ્છમાં પધાર્યા હતા. કચ્છમાં સુંદરજી સુથાર નામના મહાન ભક્ત રહેતા હતા. એસ સમયે શ્રીજી મહારાજે એમની ભારે કસોટી કરેલી. એ કસોટીમાંથી સુંદરજી સુધાર સરધાર પાર ઉતરેલા. એ સમયે તેઓ કસોટીમાંથી તો પાર

Read More »

ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા

ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા ભગવાન વેદવ્યાસ અને ધર્મરાજ યુધિષ્ઠિરની કથા -સ્વામી માધવપ્રિયદાસ મહાભારતમાં એક સરસ પ્રસંગ છે : જ્યારે રાજસૂય યજ્ઞ પૂરો થયો, મયદાનવે રચેલી સભામાં દુર્યોધનનું ઘોર અપમાન થયું. ઈર્ષ્યાની આગમાં સળગતો દૂર્યોધન પોતાના ઘેર ગયો. તેણે મનમાં નિર્ણય કર્યો કે યેનકેન પ્રકારેણ પાંડવોની સંપત્તિ પડાવી લઉં.

Read More »

વશિષ્ઠ અને વિશ્વામિત્રની કથા

વશિષ્ઠ અને વિશ્વામિત્રની કથા -સ્વામી માધવપ્રિયદાસ વસિષ્ઠ અને વિશ્વામિત્ર મહાન ઋષિઓ થઈ ગયા. વસિષ્ઠ જ્ઞાની-ધ્યાની મહાપુરુષ હતા. વિશ્વામિત્ર પોતાની ગૂઢ શક્તિના પ્રભાવે પૃથ્વીવાસીઓને સદેહે સ્વર્ગમાં મોકલી શકતા. ત્રિશંકુની કથા એનું પ્રમાણ છે. વિશ્વામિત્ર પાસે નવી સૃષ્ટિ રચવાનું વિજ્ઞાન હતું. વિશ્વામિત્રને ગાયત્રીમંત્રના દેષ્ટા કહેવાય છે. મંત્રનો જપ કરવો એ એક વાત

Read More »